ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૫.૦૯.૨૦૨૨

આજથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ
           
અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


(માહિતી બ્યુરો,પાલનપુર )
         કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના વહીવટીહોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
              બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે ચાલુ સાલે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે જેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરશ્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
          આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
        યાત્રિકોની દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે. યાત્રિકોના માલસામાન સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અંબાજી આવતા રથો સંઘો લાઈન દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિગેટથી એન્ટ્રી આપવામાં આવશે. વડીલો, વૃધ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શક્તિ ગેટની પાસેના 7, 8 અને 9 નંબરના ગેટ એક્ઝિટ માટે જ્યારે ગેટ નંબર 6 ઇમરજન્સીમાં ઉપયોગમાં માટે રાખવામાં આવ્યો છે.

 મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરાયો

  સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6.15 વાગ્યે ખોલવામાં આવતું હોય છે પરંતુ મેળા દરમિયાન યાત્રિકો મોડી રાતે કે વહેલી સવારે અંબાજી આવી પહોંચતા હોય છે આ યાત્રિકો વહેલી સવારે આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકે એ માટે મંદિર બ્રહ્મ મુર્હતમાં સવારે 5 કલાકે ખોલવામાં આવશે. આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે. આમ સવારમાં દર્શનનો સમય એક કલાક વહેલો કરાયો છે. સાંજે સામાન્ય રીતે સમય 4.30 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેતુ હોય છે એ મેળા દરમિયાનમાં સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે. આમ સાંજે પણ એક કલાક દર્શનના સમયમાં વધારો કરાયો છે. મંદિર રાત્રે-12.00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા: સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરાઇ

અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ મા અંબાનો પ્રસાદ લઈ શકે એ માટે 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળા દરમિયાન ઉપવાસ રાખતા યાત્રિકો માટે આ વખતે સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે 3 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

      દેશ- વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ ઘેરબેઠા માં અંબા ના મેળા ના દર્શન કરી શકે એ માટે વેબકાસ્ટિંગ થકી જીવંત પ્રસારણની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત ઇન્સ્ટગ્રામ પર મેળાની સતત અપડેટ મળી રહે એ માટેની પણ સગવડ ગોઠવવામાં આવી છે.

 યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરાઇ

મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

 આરોગ્ય વિભાગ દ્વારા ૩૮ જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો કાર્યરત કરાયા 

મેળા દરમિયાન યાત્રિકો દર્શનાર્થીઓને આરોગ્ય બાબતે પણ વહીવટીતંત્ર દ્વારા ચિંતા કરી મેળા માં આવતા તમામ યાત્રિકોને આરોગ્ય સુવિધાનો લાભ મળે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 24 જેટલા સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. અંબાજી તરફના માર્ગો પર 14 જેટલાં કેન્દ્ર મળી કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો જિલ્લાની હદમાં ઉભા કરવામાં આવ્યા છે. 6 સ્પેશિયાલિસ્ટ ડોકટર સહિત 256 જેટલાં આરોગ્ય કર્મીઓ મેળામાં ખડેપગે યાત્રિકોની સુવિધા માટે તૈનાત રહેશે અને 16 એમ્બ્યુલન્સ વાન યાત્રિકોને તાત્કાલિક સારવાર માટે ૨૪ કલાક કાર્યરત રહેશે. મેળા દરમિયાન જો ફૂડ પોઈઝનિંગ જેવી ઇમરજન્સી સર્જાય તો પાલનપુર, હિંમતનગર, વડનગર, અને ધારપુર હોસ્પિટલમાં સ્પે. બેડની સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.

 મેળા માટે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરાયું

અંબાજીના મેળામાં ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટી પડતા હોય છે ત્યારે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન યાત્રિકોની પાણીની જરૂરિયાત માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 45 જેટલાં પાણીના ટેન્કર દ્વારા સતત પાણીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં યાત્રિકો ભક્તિની સાથે સાથે મનોરંજન માણી શકે એ માટે સેવા કેમ્પો ખાતે અને અંબાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જેમાં ખ્યાતનામ કલાકારો યાત્રિકોને મનોરંજન કરાવશે.

 અંબાજીથી ત્રણ કિ.મી.ના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા ઉભી કરાઇ.
       આ વખતે મેળામાં પ્રથમવાર યાત્રિકો અંબાજીની નજીકમાં નજીક પોતાનું વાહન પાર્ક કરી શકે એ માટે અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા ઉભી કરવામાં આવી છે. કુલ- 21 પાર્કિંગ પ્લોટ ડેવલોપ કરાયા છે જેમાં 172 ટોયલેટ યુનિટની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. સમગ્ર મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્રના અલગ અલગ વિભાગોની 29 જેટલી સમિતિઓ બનવવામાં આવી છે. 

 પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઈન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરાઇ
         આ વખતે મેળામાં આવતા પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઇન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી 2326 પદયાત્રી સંઘોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજરાતભરમાંથી આવતા પદયાત્રી સંઘોમાં વધુમાં વધુ 4 વાહનોને પાસ અપાય છે. હદાડ એન્ટ્રી ગેટ પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પાસ ઈશ્યુ કરી શકાય એ માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે અત્યાર સુધીમાં 7000 સંઘોના વાહન પાસ ઇસ્યુ કરાયા છે.


 પ હજાર પોલીસ કર્મીઓ અને 325 થી વધારે સી.સી.ટી.વી કેમેરા મેળા પર ચાંપતી નજર રાખશે

   મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે જેની માહિતી આપતા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવશે. 325 સી.સી.ટી.વી. કેમેરા,10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન,13 વોચ ટાવર અને પદયાત્રીઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત રહેશે. કોમ્યુનિકેશન માટે 252 વોકિટોકીની વ્યવસ્થા 18 સ્ટેસ્ટીટિક્સ ટીમ અને ઘોડેસવાર જવાનો પણ સુરક્ષા અને સલામતી માટે ખડેપગે ફરજ બજાવશે. 100 નંબર ડાયલ કરી કોઈપણ વ્યક્તિ પોલીસની મદદ મેળવી શકશે. અંબાજી તરફના માર્ગો અને ગબ્બર ખાતે પણ પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાળકો ખોવાયાના કિસ્સામાં RFID રેડિયો ફ્રિકવનસી આઇડેન્ટિટીફિકેશન દ્વારા એક QR કોડ સિસ્ટમ જનરેટ કરવામાં આવી છે. જેના દ્વારા મેળામાં વિખુટા પડી ગયેલા કે ખોવાઈ ગયેલા બાળકોને સરળતાથી ટ્રેસ કરી શોધી શકાશે. અસામાજિક તત્વોનો ડેટા એનાલીસીસ કરી મેળા દરમિયાન કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.

 દર્શનાર્થીઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું

આ વખતે યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું પ્રસ્તુત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત યાત્રાધામ અને પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા 5 લોકેશન પર ડોમ બનવવામાં આવ્યા છે જેમાં રોજ રાત્રે 3 જેટલાં શો યોજવામાં આવશે.

 700 જેટલાં સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે

મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે મેળામાં સ્વચ્છતા અને સફાઈનું પણ તંત્ર દ્વારા ધ્યાન રાખી 700 જેટલા સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
            આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, વહીવટદારશ્રી આર.કે.પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી સહિત મોટી સંખ્યામાં પત્રિકારો ઉપસ્થિત રહ્યાં હતા.
____________________________________________

અંબાજી મંદિરમાં માઈભક્ત દ્વારા રૂ.52,50,000ના સોનાનું દાન અપાયું


(માહિતી બ્યુરો,પાલનપુર)
            તા.૫ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આજે અંબાજી મંદિરમાં અલગ અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં ૧ કિ.લો. સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે.
____________________________________________

પાલનપુર સબ ડીવીઝનલ વિસ્તારમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા અરજી કરો

(માહિતી બ્યુરો પાલનપુર)
          સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પાલનપુર દ્વારા જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે પાલનપુર અને વડગામ સબ ડીવીઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) નિયત નમુનાનું અરજી ફોર્મ AE-5 મેળવી નીચેની વિગતો સાથે સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં મોડામાં મોડા તા.૩૦-૦૯-૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે.
         નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ચાર નકલ સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં રજુ કરવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ. ૯૦૦/- ’"૦૦૭૦ અન્ય વહીવટી સેવાઓ" સદરે જમા કરાવી અસલ ચલણ રજુ કરવાનું રહેશે. જગ્યાની માલિકીના આધાર રજુ કરવાના રહેશે. જો જગ્યા ભાડાની હોય તો ભાડા ચીઠ્ઠી રજુ કરવાની રહેશે. (ચાર નકલમાં) માંગણીવાળી જગ્યાનો બ્લ્યુ પ્રિન્ટ નકશો પ્લાન ચાર નકલમાં રજુ કરવાનો રહેશે. જેમાં દુકાનનું ક્ષેત્રફળ, સ્ટોરેજ કેપેસીટી, એપ્રોચ રોડ, ચારેબાજુની સ્થળ સ્થિતી, વિજળીનું ફીટીંગ વિગેરેની વિગતો ચાર નકલમાં રજુ કરવાની રહેશે. અરજદારશ્રીના અરજી ફોર્મની પ્રથમ નકલ પર કોર્ટ ફી સ્ટેમ્પ તથા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. હંગામી ફટાકડા પરવાનો મંજુર થાય તો રજી.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે અથવા કોઇ કારણસર રજી.એ.ડી. શકય ન બને તો અરજદારશ્રીએ તા.૨૦/૧૦/૨૦૨૨ સુધી જાતે જ મેળવી લેવાનો રહેશે. નિયત સમય મર્યાદા બહાર મળેલ તથા અધુરી વિગતવાળી અરજી ઉપર કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમજ પરવાનો મેળવવા હકદાર ગણાશે નહીં.
____________________________________________

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે રાજયકક્ષાના પારિતોષિકનું આયોજન

(માહિતી બ્યુરો, પાલનપુર)
           રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો વર્ષ ૨૦૨૨ મેળવવા માટે (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સની કેટેગરીમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
           દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુરથી વિના મૂલ્યે મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે. 
           ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં રોજગાર વિનિમય કચેરી પાલનપુરને મોડામાં મોડા તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી પાલનપુરનો સંપર્ક સાધવા રોજગાર અધિકારીશ્રી (જનરલ) પાલનપુરની અખબારીયાદીમાં જણાવાયું છે.
____________________________________________

અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
          અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લેવા નાયબ વન સંરક્ષકશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.
____________________________________________

રૂ.૧૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ દાંતા-અંબાજી ફોરલેન રસ્તાથી માઇભક્તોની સુવિધામાં વધારો થયો


અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટનો વ્યુ પોઇન્ટ પદયાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર


(માહિતી બ્યુરો, પાલનપુર)
          વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.  
          યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી ૩ કિલોમીટર પહેલાંના ગેટ પાસે ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો, સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ માણી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ મેળાને ધ્યાનમાં રાખી ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી બાજુ તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.  
           અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. 
           રાજ્ય સરકારશ્રીના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતાં હતા હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે સાથે યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થયો છે. 

અંબાજી યાત્રાધામને જોડતા તમામ રસ્તાઓ ફોરલેન બનવાથી પદયાત્રિકોની સવલતોમાં વધારો

              રાજયના યાત્રાધામોને જોડતા રસ્તાઓને ફોરલેન બનાવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ- આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી તમામ રસ્તાસઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. ફોરલેન રસ્તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે તે સાથે આ વિસ્તારના લોકોને ફોરલેન રસ્તાઓ બહુ ઉપયોગ નિવડી રહ્યા છે જેનાથી આ વિસ્તારની વિકાસકૂચ વેગવંતી બનશે.

આલેખનઃ- રેસુંગ ચૌહાણ, 
સિનિયર સબ એડિટર,
પાલનપુર.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ